જીરૂના પાકમાં આવતા કાળિયા/ચરમીના રોગના નિયંત્રણ માટે શુ પગલા લેવા જોઈએ?

આ રોગનું નિયંત્રણ ખેડકાર્યો તથા રાસાયણિક દવાથી સારી રીતે થઈ શકે છે જેમ કે
ખેડકાર્યો દ્વારા નિયંત્રણ :
- પાકની ફેરબદલી કરવી.
- જીરૂના પાકની વાવણી સમયસર એટલે કે રપ ઓકટોબર થી ૧૦ મી નવેમ્‍બર વચ્‍ચે ઠંડીની શરૂઆત થતા બે હાર વચ્‍ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી.
- કયારા સમતળ, સાંકડા અને નાના રાખવા જેથી એક સરખું પિયત થાય.
- હલકું પિયત આપવું તેમજ કયારાના પાછળના ભાગે પાણી ભરાઈ રહે નહી તેની કાળજી રાખવી.
- ભલામણ મુજબ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
- વધુ પડતા નાઈટ્રોજનયુક્‍ત ખાતરોનો ઉપયોગ ટાળવો.
- રોગીષ્‍ટ છોડ ઉખેડીને બાળી કાઢવા.
- રાઈ, ઘઉં, રજકા જેવા પિયત પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું નહી.
- પિયત પછી શકય હોય તો આંતરખેડ કરવી.
- વાદળછાયું કે ધુમ્‍મસવાળુ વાતાવરણ થાય તો પિયત બંધ કરવું.
- ધુમ્‍મસ વધુ હોય તો રાત્રે ખેતરમાં અમુક જગ્‍યાએ કે આજુબાજુ કચરો સળગાવી ધુમાડો કરવો.

રાસાયણિક રીતે નિયંત્રણ :
- બીજને વાવતા પહેલા કોઈ એક ફુગનાશક દવા જેવી કે થાયરમ કે કેપ્‍ટાનનો પટ આપીને જ વાવેતર કરવું.
- પાક જયારે ૪૦ દિવસનો થાય ત્‍યારે મેન્‍કોઝેબ ૩૩ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી સાથે સેન્‍ડોવીટ પ થી ૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર ભેળવી કુલ ચાર છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવાથી રોગનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.

જીરું